વડોદરા ભાજપ લોકસભા ઉમેદવાર વિરુદ્ધ 'પોસ્ટર વોર': ત્રીજી વખત રિપીટ કરવામાં આવેલ રંજનબેનના વિરોધમાં લાગ્યા ...
- 20 Mar, 2024
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોને ટિકિટ આપવાની પણ શરૂઆત કરી દીધી છે ,એવામાં સમગ્ર દેશની સાથે રાજ્યના અનેક શહેરોમાં પણ લોકસભાની ટિકિટને લઇને રાજકારણ પણ ભારે ગરમાયું છે. નોંધનીય છે કે, હાલમાં જ રંજન ભટ્ટને વડોદરા લોકસભાની સીટ માટે ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે. જે બાદ અનેક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. શહેરમાં મંગળવારની મોડી રાતે સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા. આ સાથે ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલયના બોર્ડ પાસે પણ રંજનબેન વિરુદ્ધના પોસ્ટર લગાવાયા હતા.
નોંધનીય છે કે, મંગળવારે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારનું રાજીનામું આખો દિવસ ચર્ચામાં રહ્યુ હતુ અને પછી મોડી રાતે રંજનબેન વિરુદ્ધના પોસ્ટર લગાવાતા વડોદરાનું રાજકારણ ભારે ચર્ચામાં આવી રહ્યુ છે. શહેરના સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધના પોસ્ટર કોણે લગાવ્યા તે અંગે હાલ તપાસ થઇ રહી છે. જોકે, આ પોસ્ટરો હાલ હટાવી લેવામાં આવ્યા છે. ભાજપના લોકસભાના ઉમેદવાર રંજનબેન વિરુદ્ધમાં લખવામાં આવ્યુ છે કે, ‘મોદી તુજસે વેર નહીં રંજન કેરી ખેર નહીં’,‘વડોદરાનો વિકાસ ક્યાં ગયો, કોઇના ગજવામાં કે ઘરમાં ગયો, જનતા જવાબ માંગે છે.’
માહિતી મુજબ સંગમ અને કારેલીબાગના સ્થાનિકોએ જણાવ્યું કે અમને રંજનબેન ભટ્ટ સામે કોઇ વાંધો નથી. અમને તેમની કામગીરી સામે કોઇ સવાલ નથી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, આ પોસ્ટરો કોણે લગાવ્યા તે અંગે તપાસ થવી જોઇએ.વધુમાં મંગળવારે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સોમવારે મોડી રાતે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામાનો ઇમેઇલ કર્યો હતો. જે બાદ મંગળવારે સવારે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ભાજપની અનેક અંદરની વાતો જણાવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ‘આ રાજીનામું કોઇ પ્રેશર ટેક્નિક કે એવું કાંઇ નથી.
કેટલાય વખતથી મને એવુ હતુ કે, પાર્ટી સર્વોચ્ય છે અને પાર્ટી કહે તે પ્રમાણે અમારે કામ કરવું પડે છે. પરંતુ અંદરના - જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં ક્યાંક કોઇ કચાશ લાગે છે. મેં ઘણીવાર આ અંગે હળવી રીતે રજૂઆત કરી છે, બધાને આ અંગે જણાવ્યુ છે. નેતાઓ સત્તા માટે જ રાજકારણમાં આવતા હોય છે તેવો એક ભ્રમ લોકોમાં થઇ ગયો છે. દરેક લોકો સત્તા માટે નથી આવતા. 2012માં અપક્ષ તરીકે જીત્યો ત્યારથી આજ સુધી હું મારી સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરું છુ.’ જોકે, પ્રદેશ ભાજપના નેતાઓની સમજાવટ બાદ તેમણે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધુ હતુ.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ